જામનગરમાંથી વધુ એક વિવાદાસ્પદ કિસ્સો સામે આવ્યો છે.આયુર્વેદ યુનિવર્સિટી અંતર્ગત BAMSના ત્રીજા વર્ષનું શલ્ય તંત્ર વિષયનું પ્રશ્નપત્ર લીક થઈ ગયું છે. આશ્ચર્યની વાત તો એ છે કે પરીક્ષાના પેપરના 12માંથી 11 પ્રશ્નો અગાઉથી જ વોટ્સએપ પર ધૂમ મચાવી રહ્યા હતા. હજી જંતર મંતર પર પેપર લીક મુદ્દે થયેલું આંદોલન શાંત થયે બે દિવસનો સમય થયો છે ત્યાં જ ગુજરાતમાં આ મામલો સામે આવતાં અનેક સવાલો ઉભા થયાં છે. ભાજપ અને કોંગ્રેસ દ્વારા આ મામલે સામ સામે આક્ષેપો કર્યા હતાં.
જામનગર આયુર્વેદિક યુનિવર્સિટીના BAMS શલ્ય તંત્ર વિભાગનું પેપર લીક થવા મામલે રાજકારણ ગરમાયું છે જેમાં કોંગ્રેસ પ્રવક્તા ડો.મનીષ દોશીએ શિક્ષણ વિભાગ અને સરકાર પર આકરા પ્રહારો કર્યા છે.તેમણે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આખું પેપર વોટ્સએપ પર વાયરલ થઈ ગયું છે અને આયુર્વેદિક યુનિવર્સિટી ભ્રષ્ટાચારનું મોટું કેન્દ્ર બની ચૂકી છે.સરકારે પરીક્ષા ચોરી અંગે બનાવેલા કાયદા માત્ર કાગળ પર જ હોવાનો દાવો કરીને તેમણે માંગ કરી છે કે સરકાર કાયદાના નામે ભ્રમ ફેલાવવાનું બંધ કરે અને મુખ્યમંત્રી પોતે આ સમગ્ર મામલે જવાબદારી નક્કી કરી કડક કાર્યવાહી કરે.
કોંગ્રેસના આક્ષેપો સામે ભાજપ પ્રવક્તા ડો.અનિલ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે આયુર્વેદિક યુનિવર્સિટીમાં શલ્ય વિભાગનું પેપર ફૂટ્યાની માહિતી મળતા જ કોલેજના ડાયરેક્ટરે નિષ્પક્ષ તપાસની ખાતરી આપી છે.તેમણે ઉમેર્યું કે ગુજરાત સરકારે વર્ષ 2023માં જ આ પ્રકારના ગુનાઓ માટે 10 લાખથી 1 કરોડ સુધીની પેનલ્ટી અને 3 થી 10 વર્ષ સુધીની કડક સજા આપતો કાયદો બનાવેલો છે.આ વિષય પર રાજનીતિથી ઉપર ઉઠીને કાર્યવાહી કરવામાં આવશે અને સરકાર તમામ ગુનેગારોને કડકમાં કડક સજા અપાવશે તેવી ખાતરી તેમણે આપી હતી.